શિક્ષણ અને લોકનિકેતન ભાગ-૧
        [ શરૂઆતી શિક્ષણ  ટડાવ અને હરીપુરા]
        લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
   

           પાલનપુર થી અંબાજી જતા હોઈએ એટલે પાંચેક કિમિ પછી જમણી બાજુ એક મેદાન આવી, એના ઉપરના ભાગમાં ત્રણ ડોમ કરેલા આવે. થોડા આગળ જઈએ એટલે ‘’ લોકનિકેતન રતનપુર’’  લખલે પાટિયું અને ડાબી બાજુ બુલંદ દરવાજો............... આજે આપની સાથે લોકનિકેતનના કેટલાક સંસ્મરણો શેર કરવા છે.
     થોડોક મોટો અડુઆળો લેશું તો સારું રહેશે...
     ઓગણિસો નેવુંમાં મે એસ.એસ.સી પુર્ણ કર્યું, એટલે એના પરથી કહી શકાય કે ઓગણિસો  એંશી માં હું પહેલા ધોરણમાં બેઠો હશું. મારા ગામ હરીપુરામાંએ સમયે મોટામાં મોટું ધોરણ ચાર હતું, પાંચમા  માં ભણવા જવું હોય તો તમારે સાડા  પાંચ કિમિ ધુળિયે  કેડી માર્ગે ચાલીને ટડાવ જવું પડે.
      ગામમાં ચાર જ ધોરણએ તો બરાબર પણ શિક્ષક બે ગામ વચ્ચે એક જ.....!! એક દિવસ રાબડીપાદર ભણવાનું એક દિવસ હરીપુરા. પ્રભુરામભાઇ જોષી સાહેબેએ દિવસો માં અમને ત્રીજા ધોરણમાં પૈડું પાઠ ખુરશીની આજુ-બાજુ ઉભા રાખીને સમજાવેલો એ આજે પણ એટલો જ યાદ છે.જો કે પહેલા ધોરણમાં મારું નામ ચડાવેવું ધીરજલાલ પંડ્યા સાહેબે.
       ધીરજલાલ પંડ્યા સાહેબ બેણપના હતા અને મારા ઘરની સામે જ રહેતા, હું રજાના દિવસે પણ એમને દાખલા ગણી-ગણીને બતાવવા જતો.અભ્યાસમાં મારા બે પિતરાઈ ભાઇ  એસ.એસ.સી સુધી સાથે જ રહ્યા  હરિભાઈ અને વજરાંમભાઈ.
    ચોથું ધોરણ પુરું કરીને પાંચમા ધોરણ માં ટડાવ જવાનું શરૂ કર્યુ.આચાર્ય સાહેબ તરીકે ચમનલાલ ત્રિવેદી સાહેબ. શાળાનું હેંડ્લીંગ મુળજીભાઈ સાહેબ કરે અને ધાક રવિશંકરભાઈ સાહેબની જેથી સવારે થોડુ વહેલુ ચાલવું પડે નહિતર ફટેલી ચડ્ડી પર માર પડે. અમારા  પાંચમા ધોરણના સાહેબ દિવાનજીભાઈ મોહનજીભાઈ ઠાકોર.
શાળાનો દ્રેસ ખાખી ચડ્ડી અને સફેદ શર્ટ હતું.મારું સફેદ શર્ટ પાકિસ્તાનની કાપડમાંથી બનાવેલું હતુ એટલે સાંજે આવી ને ધોવામાં આવે તો પણ સારી રીતે સુકાઇ જતું હતું, આટલા દિવસોમાં ક્યારેય શાળામાં ગેરહાજર રહેવાનું યાદ નથી.
    એ દિવસોમાં મધ્યાહન ભોજન નવું-નવું ચાલુ થયેલું,  બધાને એક રોટલી અને થોડું પાણીવાળું શાક. એક દિવસ પાંચમા વાળા વિદ્યાર્થી ઓ ને રોટલી ના મળી.... ભાઈ ભાઈ દિવાનજી સર નો ગુસ્સો ફાટી નિકળ્યો.એમનાં ધર્મપત્નીને દાંત પર સોનાનો ઢોળ ચડાવેલો,એમના ઘેર ચોળાફળી આપવા જતા ત્યારે જોયેલા. એ પહેલા આવા દાંત કોઇના  જોયા ન  હતા.
     એ દિવસોમાં  સમાજવિદ્યા વિષય શીખવવામાં આવતો જેમાં એમણે અમને મુસ્લીમ લીગ વિશે જે રીતે શીખવ્યુ અને સમજાવ્યું એ આજના રાજકારણને સમજવામાં ઉપયોગી થઈ રહ્યુ છે એમ કહી તો કઈ ખોટું નથી.એમની બદલી થતાં આખો વર્ગ ધ્રુસ્કે-ધ્રસ્કે રડ્યો હતો.
  રામજીભાઈ પુંજાભાઇ ચૌધરી એ દિવસોમાં હિંદી પ્રથમની પરીક્ષા અપાવતા.એમના અને મુલચંદભાઈ પટેલ ના ધબ્બા તો આજના વિદ્યાર્થીઓ તો સહન જ ન કરી શકે. રામજીભાઈ પુંજાભાઇ ચૌધરી અને મુલચંદભાઈ પટેલ બંને એક જ મકાનમં રહેતા. વજરાંમભાઇ સુથાર સાહેબ ગંભીરપુરા ના હતા સફેદ ધોતી અને કાળો કોટ અને રૂઆબદાર ચેહેરો, તે જમનાની ચાવી વાળી હાથે બાંધવાની ઘડિયાળો રિપેર કરતાં, કેટલીક વખત હું હરીપુરાથી બંધ ઘડિયાળો લઈ જતો...આટલા વર્ષોમાં ટડાવનો બઝારનો વિકાસ કંઇ વિશેષ થયો નથી.
   ટડાવ શાળાને એ દિવસોમાં પાકો કોટ ના હતો. અરે શાળાઓને પુરતા ઓરડાના હતા કોટ વિશે તો કોણ વિચારી શકે...!! એટ્લે વેકેશન પડતાં પહેલાં  બાવળની વાડ બનાવવામાં આવતી. આ વાડની  મહત્તમ જવાબદારી મોટા પીરાજી સાહેબની હોતી. પીરાજી સાહેબ શનિવારે લાંબી દોરીવાળી સીટી સાથે અંગકસતરના દાવ કરાવતા. લાંબી દોરી નો અર્થ આપ સમજી ગયા હશો.
      છઠ્ઠુ ધોરણ અડધું ખેમજીભાઈ ભાખરીયા સાહેબ પાસે અને અડધું મુળજીભાઇ    પાસે ભણીને પુરું કર્યું. છઠ્ઠુ ધોરણથી મારું ભૂમિતિ વિશેનું જ્ઞાન વધ્યું.આ ધોરણમાં મેં ચાર માસ સુધી ચોટીલ માંથી અપ-ડાઉન કર્યુ.એ જીરાવાળી વાત મેં અગાઉના લેખમાં કરી ચુક્યો છું.
     એ દિવસોમાં પણ ટડાવની પ્રાર્થનાસભા જ્ઞાનદાયક અને રસપ્રદ હતી.શાળા ના મહામંત્રી લખમણભાઇ જગમાલભાઇ બધાને હારબંધ બેસાડતા. દરરોજની ધૂન , ભજન અને  પ્રાર્થના અલગ- અલગ હોતી.પ્રાર્થના પછી મુળજીભાઈ સાહેબનું સંબોધન હોતું. એમાં સાંભળેલો પહેલો ઇંગ્લીશ શબ્દ old is gold”.
     લગધીરભાઇ સાહેબ એ દિવસોમાં પણ વાઇટ કપડાં પહેરતા અને  એમણે  આપો આપ દોરીની જગ્યા એ ક્લીપ ચોટી જાય એવાં બૂટ લાવેલાં.મોહનલાલ સાહેબ હિંદી મસ્ત ભણાવતા.દીલીપભાઈ સાહેબે કડક હાથે અંગ્રેજી ની ઝુંબેશ ઉપાડેલી.
   આવ્યું સાતમું ધોરણ , બાવન કે પંચાવનની સંખ્યા, સો ટકા હાજરી. રવિશંકરભાઈ સાહેબનું લશ્કરી શિસ્ત.... શ્વાસ પણ મને લાગે છે કે ધીરે-ધીરે લેવાનો.મારી હોંશિયારીનું કારણ જ સાતમું ધોરણ છે એમ કહું તો ચાલે.ભૂગોળના જ્ઞાનમાં  ભરપૂર વધારો થયો. અંકગણિતની સમજ  રવિશંકરભાઈ સાહેબની મેથડ ના લીધે જ આવી છે એમ કહું તો જરા પણ અતિસયોક્તિ નથી.
      કોઇ પણ પાઠ અગિયાર વાગ્યે ચાલુ થાય,બે ની રિશેષ પહેલાં પુરો અને રિશેષ પછી એ  પાઠના પ્રશ્નો પુછવામાં આવતા,પાઠના પ્રશ્નોના જવાબ આવડવા જ જોઈએ એમાં કોઇ પણ જાતની બાંધછોડ ન ચાલે.
  ચાર વાગ્યા પછી કબ્બડી રમવા નો પ્રોગ્રામ હોતો.કરસન વિહા રબારી અમને કુદીને જતો રહેતો. એ કબ્બડી જબરી રમતો.હું, પ્રફુલ જયંતીલાલ અને વાસુદેવ કબ્બડીમાં દૂર જ રહેતા.જોધા રબારી તો ઉમેદપુરાના હતા તે ઓ તો ધોરણ કુદી ને સાતમા ધોરણ માં આવેલા.વાસુદેવ તો ત્યારે પણ આવા જ હતા. જોરા ઠાકોર અને રાસેંગ ચોટીલથી આવતા,ધેંગો અને માવજી લોદ્રાણી થી.કારેલીના શંકર એવરા જેટલું વાંચતા એ બધું જ યાદ રહેતું.વશરાંમ પટેલ ત્યારે નાના ધોરણ માં હતા પણ હું અને દાંના એવરા ખુબ રિશેષમં મસ્તી કરતા.સવારે  અને સાજે સાડા પાંચ કિમિ ચાલ્યા પછી પણ મસ્તી કેટલી એનર્જી .....!!
શાળામાં મોટા છોકરાઓ સાથે જરા પણ મારમારી ન કરાય નહીતર, માર્ગમાં વળાવિયા કોઈ હોતા નહી.
    આજે તો જો એક દિવસ બસ ના આવે તો ડેપોમાં દશ ફોન થાય, બાળકોને ભણવા જાવા માટેની બસ કેમ ના મુકી? એ દિવસોમાં એપ્રિલ મહિનામાં વહેલી શાળા હોતી સાડા અગિયારે હરીપુરા તરફ પાછા ફરવાનું. એપ્રિલ એટલે ઉનાળાની શરૂઆત મારા સાથે કોઈના પગ માં બૂટ-ચંપલ ના હોય. આકડાના પાનનાં પાંચ મીનીટ માટે પગરખાં બનાવી ગરમ લાય તાંબા જેવી જમીન પર દોડી જતા. આકડાનાં પાન અને  છીપડાની સળીઓ  ક્યારે ટૂટીને વેરવિખેર થઈ જતી ખબર પણ ન રહેતી. સરકાર કે  અન્ય લાગતા-વળગતાઓ એ બાળકો ના શિક્ષણ વિશે ચિંતા કે ચિંતન કર્યું ન હતું, એનું આ જીવતું ઉદાહરણ......!!!
      આટલા પ્રશ્નો છતાં એ વાતનો આનંદ હતો કે અમને ભણવા જાઓ એટલું કહ્યું એ બહુ થઈ ગયું. નહીતર હું આ બધું લખી ના શક્યો હોત....!! મારા પિતાજી એ દિવસોમાં પોતાના ખિસ્સામાં બોલપેન રાખતા, બીજુ લગભગ કોઈ મારા ગામમાં ન રાખતું.તેઓ એ ભોરોલમાં ચાર ધોરણ સુધી રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક રણછોડભાઇ સાથે અભ્યાસ કરેલો.હમણાં બે દિવસ પહેલાં ભોરોલ રણછોડભાઇના સન્માનમાં જવાનું થયું ત્યારે એ વાતો મેં ત્યાં પણ કહેલી.એમની શિક્ષણ પ્રત્યેની લગન મને આટલા સુધી પહોચાડી શકી છે.
     મારી સાથે ચાલવા વાળામાં   હરિભાઈ અને વજરાંમભાઈ તથા બીજા હરીપુરાના મિત્રો.બાબુ ઉદા, જેઠા દાના, સવા તેજા, નરર્સિંહ ચેલા અને કરસન રતના એક ધોરણ આગળ હતા. પુનમ તળસા  ... સો સડ આ સંસાર માં નથી.[ કોઇ પાસે એ સમય નો ટડાવ નો ફોટો હોય તો મુકજો મારા વોટ્સ એપ પર જેથી આવતા હપ્તા માં સમાવી શકાય]
ચાલો મિત્રો........ શિક્ષણ યાત્રા માં આવતી કાલે મળીશું... લોકનિકેતનામાં મારું ઘડતર કેવું અને કેવા રહ્યા લોઅક્નિકેતનના અનુભવ એની વાતો આપ્ણે આવતા ભાગમાં કરીશું...મળતા રહીશું...જય જય ગરવી ગુજરાત, જય ભારત, જય ભીમ.........જય..જય.........
                            લેખક: કાંતિલાલ રૂપાભાઈ પરમાર
                        લખ્યા તારીખ: ૨૮/૦૧/૨૦૧૭
                    સુધારા સાથે ૨૯/૦૧/૨૦૧૭
                   સમય: રાત્રે   ૮.૧૧/૭.૫૬

Comments